વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧ જૂન, ૨૦૨૫ના રોજ સુરતના પાસોદરામાં યોજાયો ‘વડીલ વંદના ૪’ કાર્યક્રમ, આશીર્વાદ રૂપે ભવ્ય યજ્ઞ, લોકડાયરો અને સંતોના પાવન આશીર્વાદ સાથે ૩૫૦૦થી વધુ વડીલોની સેવા
સુરત: યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧ જૂન, ૨૦૨૫ના રવિવારના રોજ પાસોદરા ખાતે રાધા રમણ ફાર્મમાં ભવ્ય “વડીલ વંદના – ૪” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “એ ક્ષણ પણ ભક્તિ કહેવાય જયારે માણસ માણસને કામ આવે” એવા સુત્રવાક્ય સાથે સંચાલિત આ કાર્યક્રમમાં લગભગ ૩૫૦૦ વડીલોને સન્માન, સેવારૂપ ભાવ, ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભેટ આપી દેવધારી પરંપરાનો જીવંત અનુભવ કરાયો.
ભવ્ય આયોજન અને મૂલ્યવાન સહકાર
આ ભવ્ય સેવા યજ્ઞમાં સુરત તેમજ સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગપતિઓ, સમાજસેવકો અને હ્રદયસંપન્ન દાતાઓએ અહમ ભૂમિકા ભજવી હતી.
પવિત્ર સંનિધિમાં સંત સમાગમ
કાર્યક્રમને આધ્યાત્મિક ઊંચાઈ પર લાવનાર પવિત્ર સત્સંગ અને આશીર્વાદ માટે પરમ પૂજ્ય શેરીનાથજી બાપુ (ગોરક્ષનાથ આશ્રમ, જૂનાગઢ),પૂજ્ય મુળદાસબાપુ (રામમઢી), તથા પૂજ્ય જેરામબાપુ (બગસરા) અને પદ્મશ્રી કનુભાઈ ટેલર અને સમાજ ના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા ની ઉપસ્થિતિ રહી. સંતોના આશીર્વાદરૂપ પ્રવચનોથી સમગ્ર સભામાં ભક્તિભાવ પ્રવાહિત થયો.
લોકડાયરો અને મનોરંજન
વડીલોના મનની મોજ માટે આયોજિત લોકડાયરામાં લોકગાયિકા અલ્પાબેન પટેલના સૂરસંગીત અને હાસ્ય કલાકાર હિતેષભાઈ અંટાળાના રમૂજથી મંચ જીવંત બની ઉઠ્યો. કાર્યક્રમનું સંચાલન શ્રીહાર્દિકભાઈ ચાંચડ દ્વારા થયું હતું,
વડીલ યાત્રાના પુનર્મિલનરૂપી અવસર
યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ૧ જૂનના રોજ “વડીલોના સરકારી જન્મદિવસ” નિમિત્તે આ કાર્યક્રમ યોજાય છે. વડીલ યાત્રામાં જોડાયેલા વડીલોને ફરી એકવાર મળવાનો અવસર મળે તેવા ઉમદા ભાવથી યોજાતો આ કાર્યક્રમ સમાજમાં વડીલો પ્રત્યેના માન અને કરુણાને ઉજાગર કરે છે.
સેવાના સિદ્ધાંતો પર આધારિત દાનસેવાઓ ના કાર્યક્રમમાં ભોજનાલય, રામજી મંદિર, યજ્ઞશાળા,વડીલોનો ઓટલો, ભૂમિ દાતાશ્રી, તેમજ વિવિધ સહયોગી દાતાશ્રીઓએ લાખો રૂપિયાનો યોગદાન આપીને સેવાને જીવનમંત્ર બનાવ્યો.
અંતે, “એ ક્ષણ પણ ભક્તિ કહેવાય જયારે માણસ માણસને કામ આવે” એવી ભાવનાને ઉત્કૃષ્ટ રીતે સાકાર કરતો “વડીલ વંદના – ૪” કાર્યક્રમ યાદગાર બન્યો અને સમાજમાં માનવીય મૂલ્યોની ફરીવાર ઝાંખી મળી.