બિઝનેસસુરત

SGCCI દ્વારા ‘રેવન્યુ કલીનીક’અંતર્ગત લોકોને જમીન અને મિલકત સંદર્ભે સતાવતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે મહત્વનું માર્ગદર્શન

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘રેવન્યુ કલીનીક’અંતર્ગત લોકોને જમીન અને મિલકત સંદર્ભે સતાવતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. ગુજરાત સરકારમાં સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ વિભાગમાં અધિક સચિવ તરીકે મહત્વની જવાબદારી સંભાળનારા રિટાયર્ડ આઇએએસ અધિકારી જે.બી. વોરાએ આજે પણ જમીન અને મિલકત સંદર્ભે લોકોની વિવિધ મુશ્કેલીઓને સમજી હતી તેમજ તેમની સમસ્યાઓના નિવારણ માટે તેઓને મહેસૂલી કાયદાકીય સલાહ અને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

જે.બી. વોરાએ જણાવ્યું હતું કે, રેવન્યુ કિલનીકમાં આજે તેમણે ૩૦થી વધુ લોકોને સાંભળ્યા હતા. જેમાં મોટા ભાગના લોકોની જમીનની એન્ટ્રીઓ સંબંધિત, સૂચિત સોસાયટીને નિયમિત કરાવવા માટે, ધાર્મિક ટ્રસ્ટો, ટેનન્સી કાયદાઓ, શહેરી જમીન ટોચ મર્યાદા, ખેત જમીન ટોચ મર્યાદા, ખેતીની જમીનનું એકત્રિકરણ, ખેડૂત ખાતેદાર થવા વિશે અને બિનખેતી વિશેની સમસ્યાઓ જાણવા મળી હતી. જે અંગે તેઓએ વિગતવાર બધાને મહેસૂલી કાયદાકીય સલાહ આપી હતી. તેમણે કહયું કે, લોકો પહેલા સમજ્યા વિચાર્યા વગર જમીન અને મિલકત ખરીદી કરી લે છે પણ બાદમાં તેઓને પસ્તાવાનો વારો આવે છે. આથી જમીન મિલકતની ખરીદી કરતા પહેલા જમીન મહેસૂલ કાયદો, ગણોતધારો અને શહેરી વિસ્તારમાં ટીપી–ડીપી વિગેરેની ચકાસણી કરવી જરૂરી છે.

important-guidance-to-the-people-under-revenue-clinic-by-sgcci-for-solving-various-problems-related-to-land-and-property

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમીન અને મકાન લે–વેચ સાથે સરકારના ર૦ જેટલા કાયદાઓ જોડાયેલા છે. આથી જમીન મિલકતની ખરીદી બાદ લોકો છેતરાય નહીં, તેઓને કોર્ટ કચેરીના ધકકા ખાવા નહીં પડે તેમજ મહેસૂલ અને સિવિલ કોર્ટના કેસોમાં ઘટાડો આવી શકે તે માટે સ્થાવર મિલકતમાં ખાસ કરીને જમીન અને મકાન ખરીદતા પહેલા ટાઇટલની ચકાસણી ચોકકસપણે કરવી જોઇએ.

જે.બી. વોરાએ વધુમાં કહયું કે ગુજરાત સરકાર પારદર્શિતા, સંવેદનશિલતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતાથી કામગીરી કરે છે. લોકાભિમુખ અભિગમથી સરકાર છેલ્લા વર્ષોમાં મહેસૂલી કાયદામાં સુધારાઓ કરીને જમીન મિલકત વ્યવહારમાં સરળતા અને પારદર્શિતા લાવી છે. જટીલ કાર્ય પદ્ધતિઓનું ઓનલાઇન પ્રક્રિયા મારફત સરળીકરણ, યોગ્ય ભૂમિ વ્યવસ્થાપન દ્વારા સંસાધનોનું જતન અને સંવર્ધન કરવામાં આવ્યું છે. જમીન મિલકતના મહેસૂલી રેકર્ડ અને સેવા ઓનલાઇન કરવામાં આવી છે.

ચેમ્બર દ્વારા મહિનામાં બે દિવસ રેવન્યુ કિલનીકનું આયોજન કરવામાં આવે છે. હવે આગામી તા. રર એપ્રિલ, ર૦ર૧ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જે.બી. વોરા દ્વારા જમીન અને મિલકત સંદર્ભે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button