બિઝનેસસુરત

કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા બજેટમાં કરાયેલી વિશેષ જોગવાઇઓ વિશે ચેમ્બરમાં પેનલ ડિસ્કશન યોજાઇ

અગાઉ સર્ચ એન્ડ સરવેમાં છ વર્ષની ઓટોમેટીક રિ–ઓપનીંગની જોગવાઇ હતી, જેને હવે નવી જોગવાઇ પ્રમાણે ત્રણ અથવા દસ વર્ષની કરવામાં આવી છે : પેનલિસ્ટો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના સંયુકત ઉપક્રમે બજેટ એનાલિસિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ચોથા દિવસે શુક્રવાર, તા. ૪ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ઝુમના માધ્યમથી‘સ્પેશિયલ એમ્ફેસિસ ઓન બજેટ ર૦રર’વિષય ઉપર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેનલિસ્ટ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કિશોર ઘીવાલા, પ્રગ્નેશ જગાશેઠ, રમેશ માલપાની, રષેશ શાહ, વિરેશ રૂદલાલ અને અવકાશ જરીવાલા જોડાયા હતા.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં જે મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે તેના વિશે પેનલ ડિસ્કશનમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઇન્કમ ટેકસની સેકશન ૬૮ એટલે કેશ ક્રેડીટ, સેકશન ૧૪૮ એટલે રિઓપનીંગ ઓફ ઇન્કમ ટેકસ એસેસમેન્ટ અને સેકશન ૧૪ એ વિશે ચર્ચા થઇ હતી. અગાઉ સર્ચ એન્ડ સરવેમાં છ વર્ષની ઓટોમેટીક રિ–ઓપનીંગની જોગવાઇ હતી જેને હવે નવી જોગવાઇ પ્રમાણે ત્રણ અથવા દસ વર્ષની કરવામાં આવી છે તે વિશે માહિતી આપવામાં આવી હતી. આ જોગવાઇઓને ધ્યાને લઇ કરદાતાઓએ રાખવાની સજાગતા વિશે સમજણ આપવામાં આવી હતી. ઇનપુટ ટેકસ ક્રેડીટ સંબંધિત નવી જોગવાઇ કરવામાં આવી છે તથા રેજીમેન્ટેશન કરાવવામાં આવ્યું છે. જેનું વેપારીઓ દ્વારા કેવા પ્રકારનું ધ્યાન રાખવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઉપરોકત પેનલ ડિસ્કશનમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રચવન કર્યું હતું. ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના પ્રમુખ અનિલ કે. શાહે પણ બજેટ વિશે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ પ્રગ્નેશ જગાશેઠે પેનલ ડિસ્કશનનું સંચાલન કર્યું હતું તેમજ પોતાના તારણો પણ રજૂ કર્યા હતા. ઇન્કમ ટેકસ કમિટીના સભ્ય સીએ મનિષ બજરંગે પેનલિસ્ટોનો પરિચય આપ્યો હતો અને અંતે સર્વેનો આભાર માની પેનલ ડિસ્કશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button