સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

SGCCI દ્વારા ‘વેકસીનેશન’ વિષય ઉપર સેમિનારનું આયોજન

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, તા. ર૧ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘વેકસીનેશન’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ચેસ્ટ ફિઝીશિયન ડો. પારૂલ વડગામાએ ‘કમીંગ આઉટ ઓફ પેન્ડામિક’વિશે, મોદી ચેસ્ટ કિલનીકના ચેસ્ટ ફિઝીશિયન ડો. મિલન મોદીએ ‘કોવિડ વેકસીન : મીથ્સ એન્ડ ફેકટ્‌સ’વિશે અને ઇન્ફેકશીયસ ડિસીઝ સ્પેશ્યાલિસ્ટ ડો. પ્રતિક સાવજે ‘એડલ્ટ વેકસીનેશન અધર ધેન કોવિડ’વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીથી બચવા માટે વેકસીનેશન જ એકમાત્ર ઉપાય છે. આથી લોકોએ કોરોનાની રસી લેવી જોઇએ. સામાજિક સંસ્થાઓએ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી બનાવવી જોઇએ. જેથી કરીને કોઇપણ આપદા આવે જેવા કે ભૂકંપ, ફલડ કે કોવિડ– ૧૯ જેવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે તેને પહોંચી વળવા માટે આ કમિટી એકટીવ થઇ શકે. એના માટે કમિટીના સભ્યો રેગ્યુલર તાલીમ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવી જોઇએ તેવુ સૂચન તેમણે કર્યું હતું.

ડો. મિલન મોદીએ જણાવ્યું હતું કે, સીડીસી અને વ્હુના કહેવા પ્રમાણે કોવિડ ઇન્ફેકશનના સેકન્ડરી વેવ્ઝ બે વર્ષ સુધી ચાલી શકે છે. જે પરિસ્થિતિમાં વેકસીનેશન સૌથી સચોટ અને સુરક્ષિત ઉપાય છે. અત્યાર સુધી ઇતિહાસમાં કોવિડ વેકસીન રેકોર્ડ બ્રેક સમયમાં એટલે કે ઓછા સમયમાં બની છે. વેકસીનની અસર અન્ય વેકસીન કરતા ઘણી સારી છે. ૧૦ લાખથી વધુ લોકોમાં વેકસીનની ટેસ્ટ સૂચવે છે કે આની ગંભીર આડઅસર નહીંવત છે. તેમણે કહયું કે, પ૦ વર્ષથી વધુની ઉંમરના લોકો કે જેમને ડાયાબિટીસ, હૃદયની તકલીફ અને અન્ય બીમારી હોય તો તેઓએ કોવિડ– ૧૯ની રસી લેવી જરૂરી છે.

ડો. પ્રતિક સાવજે જણાવ્યું હતું કે, વેકસીન માત્ર બાળકો માટે જ હોય છે એ બાબત ખોટી છે. વયસ્ક વ્યકિતઓ માટે પણ જુદી–જુદી બીમારીથી બચવા માટે વેકસીન હોય છે. બાળકોને જે રીતે ન્યુમોનિયાથી બચવા માટે રસી મુકાય છે એવી જ રીતે પ૦ વર્ષથી વધુની ઉંમરની વ્યકિત માટે પણ ન્યુમોનિયાથી બચવા માટે વેકસીન ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઝેરી કમળો, ઇન્ફલુઇન્ઝા, ડિપ્થેરીયા અને ટાયફોઇડથી બચવા માટે પણ વેકસીન ઉપલબ્ધ છે.

તેમણે વધુમાં કહયું કે, મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર પછી સૌથી ગંભીર સમસ્યા સર્વાઇકલ કેન્સરની જોવા મળે છે. દર વર્ષે ૧ લાખથી વધુ મહિલાઓને સર્વાઇકલ કેન્સર થાય છે અને તેમાંથી ૬૦ હજાર મહિલાઓ મૃત્યુ પામે છે. સર્વાઇકલ કેન્સરને નાની વયથી જ પ્રોટેકટ કરી શકાય છે. ૧૪ વર્ષથી ઓછી વયની બાળકીઓને આ વેકસીનના બે ડોઝ તથા ૧૪થી રપ વર્ષની ઉમરની કિશોરીઓને ત્રણ ડોઝ લેવાના હોય છે.

આ સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ પ્રાસંગિક વિધી કરી હતી. જ્યારે ચેમ્બરના ગૃપ ચેરમેન રાકેશ ગાંધીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે ડો. પારૂલ વડગામાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button